બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું કે મોદી સરકારની નૈયા ડૂબી રહી છે, તેનું જીવતું-જાગતું ઉદાહરણ એ પણ છે કે આરએસએસએ પણ તેનો સાથ છોડી દીધો છે અને તેમના વચનોને પૂરાં નહીં કરવા પર જનતાનો ભારે વિરોધ જોતા સંઘી સ્વયંસેવક ઝોળી લઇને ચૂંટણીમાં મહેનત કરતા ક્યાંય જોવા નથી મળી રહ્યા, જેના કારણે મોદીને પરસેવો છૂટી રહ્યો છે.
બસપા સુપ્રીમોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી ચૂંટણી હારવા જઈ રહી છે. એટલે સુધી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ તેમનો સાથે છોડી દીધો છે. ગત ચૂંટણીમાં આપવામાં આવેલા વચનો પૂરાં ન થવાથી જનતામાં મોદી સરકાર પ્રત્યે રોષ છે. આરએસએસ પણ આ વાતને સમજી રહ્યું છે. પરિણામે તેમણે પીએમ મોદીથી અંતર કરી લીધું છે. આ વાતથી પીએમ મોદી ઘણા નર્વસ છે.
આ ઉપરાંત, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન વિવિધ પક્ષોના નેતાઓના મંદિરોમાં જવા પર માયાવતીએ વાંધો ઉઠાવ્યો છે. મંગળવારે માયાવતીએ લખનઉમાં કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન પૂજા-પાઠ કરવાના બહાને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીપંચે તાત્કાલિક તેના પર રોક લગાવવી જોઈએ.
તેમણે કહ્યું કે મંદિરોમાં દર્શનના બહાને નેતાઓ રોડ શૉ કરી લે છે. તેમાં ઘણો પૈસો ખર્ચ થાય છે. ચૂંટણીપંચે આ જોવું જોઈએ. ઘણા નેતાઓએ તો આચારસંહિતા હેઠળ પ્રચાર પર બેન લાગ્યા પછી મંદિરોમાં દર્શનના બહાને પ્રચાર અને રોડ શૉ કર્યો. આ પૂજા-પાઠને મીડિયામાં ઘણીવાર દર્શાવવામાં આવે છે. આ સદંતર રીતે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે.
માયાવતીએ કહ્યું કે જનતાએ અત્યાર સુધી ઘણા નેતાઓને સેવક, મુખ્યસેવક તેમજ ચોકીદાર વગેરે રૂપમાં જોયા છે. હવે દેશને બંધારણની સાચી કલ્યાણકારી ઇચ્છાના હિસાબે ચલાવનારો શુદ્ધ વડાપ્રધાન જોઈએ છે. જનતાને આવા બહુરૂપીઓથી ઘણો દગો મળ્યો હવે તે વધુ દગો સહન નહીં કરે. એવું સ્પષ્ટ દેખાય છે.