5માંથી 3 સીટિંગ MP હારી જાય છે ચૂંટણી, 1951થી ટ્રેન્ડ 60 ટકા સાંસદ હારે છે ઈલેક્શન
દેશમાં 1951ની લોકસભાની ચૂંટણીઓથી ટ્રેન્ડને જોતા સામે આવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં દર પાંચમાંથી ત્રણ પ્રવર્તમાન સાંસદો ચૂંટણી હારી જાય છે. લોકસભાની ચૂંટણીના આંકડાથી એ વાત સામે આવી છે કે દેશના મતદાતા નવા ચહેરાઓને મોકો આપવા માંગે છે.
23મી મેના રોજ આવનારા ચૂંટણી પરિણામોમાં ચાર વખત સાંસદ રહી ચુકેલા સોનિયા ગાંધી અને પીએમ મોદી ઈચ્છશે કે તેઓ ફરીથી એમપી તરીકે સંસદમાં પહોંચે. 68 વર્ષોથી ભારતના લોકોએ લોકસભા માટે યોજાઈ ચુકેલી 16 ચૂંટણીઓમાં 843 નેતાઓને સાંસદ તરીકે ચૂંટયા છે.
તેવામાં કેટલા સાંસદો છે જે બે વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે?આ લોકોની રાજકીય સફર કેવી રહી અને તેની સાથે એવા કેટલા નેતાઓ છે જે એક વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ફરીથી લોકસભામાં પહોંચી શક્યા નથી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, 1951થી 2019 વચ્ચે અત્યાર સુધી ચૂંટાયેલા 4865 નેતાઓએ 22 સાંસદોને નામાંકીત કર્યા હતા.
તો 4843 સાંસદોમાંથી 58.6 ટકા એટલે કે 2840 સાંસદ એવા હતા કે જે એક વખત ચૂંટણી જીત્યા બાદ ફરીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ શક્યા નથી.
68 વર્ષમાં 2003 સાંસદો ફરીથી ચૂંટાયા છે. જો કે આમાના 50 ટકા સાંસદો ત્રીજી વખત સાંસદ બનવામાં નિષ્ફળ રહ્યા છે.
16 ચૂંટણીમાંથી 11 વખત સાંસદ બનનારા એક માત્ર નેતા ડાબેરી મોરચના નેતા ઈન્દ્રજીત ગુપ્ત હતા. તેઓ સૌથી વધુ વખત સાંસદ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે. ભાજપ તરફથી અટલ બિહારી વાજપેયી, ડાબેરી નેતા સોમનાથ ચેટર્જી અને કોંગ્રેસના પી. એમ. સઈદ 10 વખત સાંસદ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છે.
આ સિવાય નવ નેતાઓ નવ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 18 નેતા એવા છે કે જે આઠ વખત અને 3 નેતાઓ સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 54 નેતાઓ એવા છે કે જે છ વખત લોકસભામાં સાંસદ બની શક્યા છે. પાંચ વખત સાસંદ રહી ચુકેલા નેતાઓની સંખ્યા 134ની છે.