Site icon Revoi.in

દરેક વિધાનસભાની બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ- પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપના પ્રદેશ કન્વીનર પ્રશાંતવાળાએ ભાજપની જીતની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દરેક વિધાનસભાની બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ગુજરાતની જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે છે.

પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર શબ્દોનો હૂમલો કરતા જણાવ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે. ભાજપા સાથેની સીધી લડાઈમાં પહોંચી ન શકતી કોંગ્રેસને ચૂંટણીમાં તેનો પરાજય દેખાઈ રહ્યો છે, તેથી અસામાજીક તત્વો દ્વારા આ પ્રકારના હીન કક્ષાના દુષ્કૃત્યો કરી કોંગ્રેસ વાતાવરણને બગાડવાના કુપ્રયાસો કરી રહી છે.

આગામી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, વિધાનસભા પેટાચૂંટણીના ઇન્ચાર્જ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીના ચૂંટણીલક્ષી પ્રવાસ ચાલું છે. આ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારઓ, ભાજપાના ઉમેદવારઓ, વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારઓ તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપા કાર્યકર્તાઓ ઉત્સાહ અને વિજયના આત્મવિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારનું કાર્ય કરી રહ્યા છે.

પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર વધારે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે  ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડાઓ કરાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી ગુજરાતની શાંતિ ડહોળવાના અનેક પ્રયાસો કર્યા છે પરંતુ ગુજરાતની સમજદાર જનતા કોંગ્રેસના આવાં બદઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિં દે.

પ્રશાંતવાળાએ ભાજપના 200 આઈટી સેલના કાર્યકર્તાઓના કોંગ્રેસમાં જોડાવાવાળી વાતને પણ અફવા ગણાવી છે અને કહ્યું કે આ ભાજપના આઈટી સેલનો એક પણ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયો નથી પરંતુ કોંગ્રેસ પોતાના જ કાર્યકર્તાઓને એક પછી એક ખેસ પહેરાવીને ફક્ત ખોટો દેખાડો કરી રહી છે.