Site icon Revoi.in

નર્મદાની જળસપાટી 129.60 મીટર પહોંચી, ડેમમાંથી છોડાશે પાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 96 હજાર ક્યુસેક નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે ડેમની જળસપાટી 129.60 મીટર ઉપર પહોંચી છે. ત્યારે નર્મદા ડેમમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24 કલાકમાં નર્મદાની જળસપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે.

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાજ નર્મદા ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત 70 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠાના ભરૂચ અને નર્મદા જિલ્લાના 30 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. જોકે નર્મદા ડેમની જળ સપાટી વધતા ઘણા દિવસોથી બંધ 1200 મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 2,41,627 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના 72.33 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.