Site icon Revoi.in

કરાચીથી દિલ્હી આવી રહેલા કાર્ગો પ્લેને નિર્ધારિત રૂટ બદલ્યો, વાયુસેનાના વિમાનોએ જયપુરમાં કરાવ્યું ફોર્સ લેન્ડિંગ

Social Share

વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાંથી ભારત આવેલા એક મોટા કાર્ગો પ્લેનનું જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું છે. આ વિમાન એંટોનોવ એએન-12 હેવી કાર્ગો પ્લેન છે જે જ્યોર્જિયાનું જણાવવામાં આવી રહ્યું છે. વિમાનને કરાચીથી દિલ્હી તરફ આવવાનું હતું. પરંતુ તેણે અચાનક પોતાનો રૂટ બદલી નાખ્યો. આ પ્લેન ગુજરાતથી ભારતમાં ઘૂસ્યું અને રાજસ્થાન તરફ આગળ વધ્યું. વાયુસેનાના લડાયક વિમાનોએ તેને ઘેર્યું અને જયપુર એરપોર્ટ પર ફોર્સ લેન્ડિંગ કરાવડાવ્યું.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, સ્પેરપાર્ટ્સ લઇને જઇ રહેલા આ વિમાનને સાંજે 4.55 વાગે જયપુરમાં લેન્ડ કરાવવામાં આવ્યું અને હવે તેના પાયલટ્સ અને ક્રૂની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અને કમાન્ડો ફોર્સ પણ એરપોર્ટ પહોંચી ગઈ છે.

સૂત્રો જણાવે છે કે AN-12 70 કિલોમીટર ઉત્તર ગુજરાત તરફથી ભારતીય એર સ્પેસની હદમાં પ્રવેશ્યું, જ્યાં ભારતનો ઇમ્પોર્ટન્ટ એરબેઝ કચ્છનું રણ આવેલું છે અને હાલ તે સિવિલિયન એર ટ્રાફિક માટે બંધ કરવામાં આવેલું છે. ઇન્ડિયન એરફોર્સ આ કાર્ગોમાં રહેલી સામગ્રીને ચેક કરવા માટે પોતાની ટીમ મોકલશે.

સૂત્રો જણાવે છે કે, જેવી એરફોર્સને તેમના રડારમાં એક વિમાન આવી રહ્યું હોવાની જાણ થઈ કે તે લોકોએ 2 ડિફેન્સ ફાઇટર્સ SU-30MKI મોકલી આપ્યા. સૂત્રોએ કહ્યું કે આ જ્યોર્જિયન એરક્રાફ્ટ પહેલા રિસ્પોન્સ નહોતું આપતું પરંતુ, જયપુરની નજીક 60 કિમીના વિસ્તારમાં તે નીચે ઉતરવા લાગ્યું અને પછી તેણે લેન્ડ કર્યું. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, આ હેવી કાર્ગો યુક્રેનિયન મેન્યુફેક્ચરર ‘મોટરસિચ’ દ્વારા લીઝ પર આપવામાં આવેલું છે.