Site icon Revoi.in

મોદી એ દુલ્હન જેવા છે જે રોટલીઓ ઓછી વણે છે, બંગડીઓ વધુ રણકાવે છે: નવજોતસિંહ સિદ્ધુ

Social Share

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર વ્યંગ કરીને તેમની તુલના એવી દુલ્હન સાથે કરી છે જે કામ ઓછું કરે છે અને બંગડીઓ વધારે રણકાવે છે. પોતાના વિવાદિત નિવેદનો, તુકબંધી અને જુમલાઓ માટે જાણીતા સિદ્ધુએ શુક્રવારે મધ્યપ્રદેશના ઇંદોરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પીએમ મોદી પર તીખો હુમલો કર્યો. તેમણે જનતાને ‘કાળા અંગ્રેજ’ને સત્તાની બહાર કરવાની પણ અપીલ કરી.

સિદ્ધુએ કહ્યું, ‘મોદીજી એ દુલ્હન જેવા છે જે રોટલી ઓછી વણએ છે અને બંગડીઓ વધારે રણકાવે છે, જેથી મહોલ્લાવાળાઓને એવું લાગે કે તે કામ કરી રહી છે. બસ આ જ થયું છે મોદી સરકારમાં.’ કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિદ્ધુએ પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવીને કહ્યું, ‘મોદી ફક્ત જૂઠ્ઠું બોલે છે. વડાપ્રધાન અને તેમની આખી ફોજ જૂઠ્ઠી છે.’

સિદ્ધુએ તેમના ચિરપરિચિત અંદાજમાં કહ્યું, “મેં હીરો નંબર 1, કુલી નંબર વન અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઈ હતી. પરંતુ, હાલ મોદીની નવી ફિલ્મ આવી રહી છે- ફેંકુ નંબર વન. હું તેમને જૂઠા નંબર વન, ડિવાઈડર ઇન ચીફ અને અંબાની અને અદાણીનો બિઝનેસ મેનેજર કહુ છું.”

મોદી સરકાર પર હુમલો કરતા સિદ્ધુએ કહ્યું, ‘ના રામ મળ્યા, ના રોજગાર મળ્યો, દરેક ગલીમાં મોબાઇલ મચેડતો એક બેરોજગાર મળ્યો.’ રાફેલ વિમાન ડીલ મામલે વડાપ્રધાનને ઘેરીને સિદ્ધુએ કહ્યું, ‘મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમણે 10 રૂપિયાની પેન સુદ્ધાં ખરીદવા પર દુકાનદાર પાસે પાકું બિલ માંગવું જોઈએ. પરંતુ જ્યારે રાફેલ વિમાનોની ખરીદીના બિલની વાત આવે છે, ત્યારે તેઓ કેમ કંઇ નથી બોલતા?’

ઇંદોરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં એક સભા કરવા દરમિયાન નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું, ‘કોંગ્રેસ દેશને આઝાદી અપાવનારી પાર્ટી છે. મૌલાના આઝાદની પાર્ટી છે, મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમણે ગોરાઓને આઝાદી આપી હતી અને તમે ઇંદોરવાળાઓ હવે કાળા અંગ્રેજોથી આ દેશને છુટકારો અપાવશો. આ ચોરોથી આ ચોર ચોકીદારોથી આ દેશને મુક્ત કરાવશો.’