
ઉત્તરાખંડ હાઇકોર્ટનો મોટો નિર્ણય, ત્રીજા સંતાન પર નહીં મળે ‘Maternity Leave’
હાઇકોર્ટે પ્રદેશ સરકારની સેવામાં ત્રીજા સંતાનના જન્મ પર મેટરનિટી લીવ આપવાની સરકારની જોગવાઇ ફગાવી છે. હલ્દ્વાની નિવાસી નર્સની અરજી પર એકલપીઠના નિર્ણયને સરકારે હાઇકોર્ટમાં પડકાર આપતા સ્પેશિયલ અપીલ દાખલ કરી હતી. તેના પર સુનાવણી બાદ અદાલતે આ નિર્ણય લીધો છે.
મુખ્ય ન્યાયાધીશ રમેશ રંગનાથન અને ન્યાયમૂર્તિ આલોક કુમાર વર્માની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. હાઇકોર્ટના આ નિર્ણય બાદ પ્રદેશમાં સરકારી અને બિન સરકારી વિભાગોમાં કાર્યરત મહિલાઓને ત્રીજા બાળકના જન્મ પર માતૃત્વ લાભ અંતર્ગત કોઇ મેટરનિટી લીવનો લાભ નહીં મળે.
હલ્દ્વાની નિવાસી નર્સ ઉર્મિલા મસીહના ત્રીજા બાળકના જન્મ પર માતૃત્વ લાભ પર મેટરનિટી લીવ ના મળતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી. આ અંતર્ગત નિયમોનો હવાલો આપતા અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે સરકારે બનાવેલો નિયમ કલમ 42ના મૂળ 153 તથા માતૃત્વ લાભ અધિનિયમની ધારા 27નું ઉલ્લંઘન કરે છે.
એકલપીઠે 2018માં આ અધિનિયમને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. તેથી ત્રીજા સંતાનના જન્મ પર પણ મેટરનિટીનો લાભ મળતો હતો.
સરકારે એકલપીઠના આદેશ વિરુદ્વ વિશેષ અપીલ દાખલ કરી હતી. સરકાર દ્વારા કરાયેલી વિશેષ અપીલમાં અપાયેલા તર્કોને સ્વીકારીને સંયુક્ત ખંડપીઠે એકલપીઠનો આદેશ નાબુદ કર્યો હતો. અરજી પણ ફગાવી હતી.