
ઇડી મામલે ચિદમ્બરમ પર સુનાવણી પુરી, SC 5 સપ્ટેમ્બરે સંભળાવશે નિર્ણય, ધરપકડથી રાહત
- INX MEDIA કેસમાં ચિદમ્બરમ મામલે સુનાવણી
- મની લોન્ડરિંગ રાષ્ટ્ર-સમાજના હિત વિરુદ્વ – ED
- INX કેસનો પર્દાફાશ કરવા ચિદમ્બરમની પૂછપરછ જરૂરી
INX MEDIA કેસમાં ઇડીના મામલે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના આગોતરા જામીન પર સુપ્રીમ કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ 5 સપ્ટેમ્બરના રોજ તેનો નિર્ણય સંભળાવશે. આ સાથે જ અદાલતે ચિદમ્બરમને 5 સપ્ટેમ્બર સુધી ધરપકડથી વચગાળાની રાહત પણ આપી છે.
આજે સુનાવણી દરમિયાન ઇડીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે મની લોન્ડરિંગ સમાજ અને રાષ્ટ્રના હિતની વિરુદ્વ છે. ઇડીએ એવી દલીલ રજૂ કરીને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને કસ્ટડીમાં લઇને પૂછપરછની માંગ કરી હતી. ઇડીએ કહ્યું હતું કે INX મીડિયા કેસમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ચિદમ્બરમની પૂછપરછ કરવી જરૂરી છે.
ઇડીએ કહ્યું કે હાલના તબક્કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓ ચિદમ્બરમને ના આપી શકાય તેનાથી પૈસાથી સંબંધિત પુરાવાઓ નષ્ટ કરાય તેવી આશંકા છે. પુરાવાઓને રજૂ કરવાની કોઇ આવશ્યકતા નથી.
સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે આર્થિક ગુનો ખૂબજ ગંભીર ગુનો છે. પછી તેના માટે કોઇપણ સજા કેમ ના થાય.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ઇડી તરફથી પક્ષ રાખ્યો હતો કે મારી પાસે એ વાતના પુરાવા છે કે આઇએનએક્સ મીડિયા મામલે મની લોન્ડરિંગ વર્ષ 2009 બાદ ફરી શરૂ થયું હતું અને આજે પણ થાય છે. ઇડી આગોતરા જામીન વગર ચિદમ્બરમને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવા માંગે છે.