
CBIની અંદર ફરી તકરાર: અધિકારીએ PMO ને લખ્યો પત્ર, જોઇંટ ડાયરેક્ટરે 14 લોકોનું કર્યું નકલી એન્કાઉન્ટર
- CBI માં જોવા મળતી તકરાર ફરી સામે આવી
- અધિકારીએ બીજા અધિકારી પર લગાવ્યા આરોપ
- ઓફિસમાં હટાવવાની પણ કરી માંગ
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇમાં ફરી એકવાર આંતરિક મતભેદ બહાર આવ્યા છે. હકીકતમાં એક સીબીઆઇ અધિકારીએ પીએમઓને પત્ર લખીને એજન્સીના જ એક વરિષ્ઠ અધિકારી પર નકલી એન્કાઉન્ટર કરવાનો તેમજ આ એન્કાઉન્ટરમાં 14 નિર્દોષ લોકો મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. NDTV ના એક રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી સુપરિટેંડેંટ ઑફ પોલિસ એનપી મિશ્રાએ સીબીઆઇના જોંઇટ ડાયરેક્ટર એ કે ભટનાગર પર ઉપરોક્ત આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ અનુસાર, એનપી મિશ્રાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે એ કે ભટનાગરે ઝારખંડમાં 14 નિર્દોષ લોકોનું નકલી એન્કાઉન્ટર કર્યું હતું. તે ઉપરાંત મિશ્રાએ તેના પત્રમાં ભટનાગરને ઑફિસમાંથી હટાવવાની પણ માંગ કરી છે. નોંધનીય છે કે આ મામલે તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, એનપી મિશ્રાએ 25 સપ્ટેમ્બરે પીએમઓમાં આ પત્ર મોકલ્યો છે. પીએમઓ ઉપરાંત સીબીઆઇ ચીફ અને ચીફ વિજિલંસ ઑફિસરને પણ આ પત્ર મોકલાયો છે. એનપી મિશ્રાએ સીવીસીને 5 પાનાનો ફરીયાદ પત્ર મોકલ્યો છે. ફરીયાદકારી અધિકારીનો દાવો છે કે જે લોકો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે તેના સંબંધીઓએ પહેલા જ આ મામલે ફરીયાદ દાખલ કરી છે.
જણાવી દઇએ કે હાલમાં એનપી મિશ્રા CBIમાં પ્રત્યાર્પણ અને ભાગેડુ અપરાધીઓની તપાસ કરનાર ડિવિઝનનો હિસ્સો છે, જે ઇન્ટરપોલ સાથે મળીને કામ કરે છે. મિશ્રાએ ભટનાગર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે. એનપી મિશ્રા પહેલા પણ કથિતપણે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્વ અવાજ ઉઠાવી ચૂક્યા છે. હાલમાં મિશ્રાની બદલીને લઇને પણ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.