
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરંપરામાં પ્રચારક અપરિણીત રહીને કામ કરે છે, પરંતુ કેટલાક અપવાદ પણ હોય છે. એવી ગૃહસ્થ પ્રચારકોની પરંપરાના જનક પ્રભાકર બલવન્ત દાણીનો જન્મ 9 ઑક્ટોબર, 1907ના રોજ ઉમરેડ, નાગપુરમાં થયો હતો. આગળ જતા તેઓ ભૈયાજી દાણીના નામથી પ્રસિદ્વ થયા. તેઓ એક સંપન્ન પિતાના એક માત્ર પુત્ર હતા. તેમના પિતા બાપુજી લોકમાન્ય તિલકના ભક્ત હતા. આ જ કારણોસર તેના ઘરેથી જ દેશપ્રેમના બીજ તેના મનમાં હતા, જે આગળ ચાલીને ડૉ. હેડગેવારના સંપર્કમાં આવીને પલ્લવિત પુષ્પિત થયા.
ભૈયાજીએ નાગપુરમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ડૉ હેડગેવારે તેને વધુ અભ્યાસક્રમ માટે કાશી મોકલ્યા હતા. ત્યાં તેમણે શાખાની સ્થાપના કરી. નાગપુરની બહાર કોઇ અન્ય પ્રાંતમાં ખુલનારી આ પ્રથમ શાખા હતી. આ જ શાખાના માધ્યમથી શ્રી ગુરુજીને ભૈયાજી દાણી જ સંઘમાં લાવ્યા હતા. જે ડૉ. હેડગેવારના નિધન બાદ સરસંઘચાલક બન્યા હતા.
કાશીથી પરત ફરીને ભૈયાજી નાગપુરમાં વકીલાત ભણ્યા, પરંતુ સંઘ કાર્ય તેમજ ઘરની ખેતીની દેખરેખમાં સારો સમય વ્યતિત થઇ જતો હોવાથી તેઓ વકીલાતનો અભ્યાસ પૂર્ણ ના કરી શક્યા. લગ્ન બાદ પણ તેમનો મોટા ભાગનો સમય સામાજિક કામોમાં જતો હતો. કોંગ્રેસ, કમ્યુનિસ્ટ, હિન્દુ મહાસભા જેવા દરેક દળોમાં તેમના સારા સંપર્ક હતા. તેઓ કામમાં આવતા વિધ્નોને દૂર કરવામાં તેમજ રીસાયેલા કાર્યકરોને મનાવવામાં ખૂબજ કુશળ હતા. આ જ ખાસિયતને કારણે અમુક લોકો તેમને મનોને જોડનાર સેતુ કહેતા હતા. સાણ્ડર્સ વધ બાદ ક્રાંતિકારી રાજગુરુ પણ કેટલાક સમય સુધી તેના ફાર્મ હાઉસમાં છુપાઇને રહ્યા હતા.
1942માં શ્રી ગુરુજીએ દરેક કાર્યકરોને સમય આપવા માટે આહ્વાન કર્યું હતું. તેના પર ભૈયાજી ગૃહસ્થ હોવા છતાં પ્રચારક બન્યા હતા. તેમને મધ્ય ભારત મોકલાયા હતા. ત્યાં તેઓ 1945 સુધી રહ્યા હતા. ત્યારબાદ તેમની કાર્યકુશળતાને જોતા તેમને સરકાર્યવાહની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. 1945-1956 સુધી આ જવાબદારી તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવી.
સંઘ કાર્ય તેમજ દેશ માટે આ સમય ખૂબજ મહત્વપૂર્ણ હતો. આ જ કાળમાં સ્વતંત્રતા મળી હતી અને માતૃભૂમિનું પણ વિભાજન થયું હતું. ગાંધીજીની હત્યાના ખોટા આરોપમાં સંઘ પર પ્રતિબંધ ફરમાવાયો હતો. સ્વયંસેવકોએ સત્યાગ્રહ કર્યો. પ્રતિબંધ હટ્યા બાદ અનેક પ્રમુખ કાર્યકરોએ સંઘ પર રાજનીતિમાં સક્રિય થવાનું દબાણ કર્યું હતું. દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ. તેવી અનેક સમસ્યાઓનો અને જટિલતાઓનો સરકાર્યવાહ ભૈયાજી દાણીએ સામનો કર્યો હતો.
ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસના ગુંડાઓએ તેમના ઉમરેડ સ્થિત ઘરમાં લૂંટફાંટ મચાવી હતી. આ ઘટના બાદ પણ ભૈયાજી સ્થિતપ્રજ્ઞ અને શાંત રહ્યા હતા. તેમને તેમના પરિવારથી વધુ શ્રી ગુરુજી અને સંઘ કાર્યની ચિંતા હતી. 1956માં પિતાના નિધન બાદ તેમને ઘરની દેખરેખ માટે વધુ સમય આપવો પડ્યો હતો. એટલે શ્રી એકનાથ રાનાડેને સરકાર્યવાહની જવાબદારી સોંપાઇ હતી. ત્યારે પણ નાગપુરના નરકેસરી પ્રકાશનનું કામ પણ તેમના પર જ હતું. 1962-1965 દરમિયાન તેઓ વધુ એક વાર સરકાર્યવાહ રહ્યા હતા, પરંતુ તેમના કથળેલા સ્વાસ્થ્યને જોતા 1965માં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ શ્રી બાલાસાહેબ દેવરસની સરકાર્યવાહ તરીકે પસંદગી કરી હતી.
ત્યારબાદ પણ તેમનો પ્રવાસ ચાલુ હતો. 1965માં ઇન્દોરના સંઘ શિક્ષા વર્ગમાં તેમની તબિયત ખૂબજ લથડી હતી અને 25 મે, 1965 માં કાર્યક્ષેત્રમાં જ આ કર્મયોગી દેવલોક પામ્યા હતા.