Site icon Revoi.in

મણિશંકર ઐયરે કહ્યું- મોદીને ‘નીચ આદમી’ કહેવાના નિવેદન પર હજુ પણ કાયમ છું

Social Share

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે મંગળવારે પોતાના ‘નીચ આદમી’વાળા નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. ઐયરે કહ્યું કે, ‘હું જે કહેવા માંગતો હતો, તે લેખમાં કહી ચૂક્યો છું. હું મારા દરેક શબ્દ પર કાયમ છું. તેના પર ચર્ચા કરવાની મારી કોઈ ઇચ્છા નથી.’ ઐયરે ‘રાઇઝિંગ કાશ્મીર’માં લખેલા આર્ટિકલમાં આ વાત કરી.

ઐયરે એમ પણ કહ્યું, ’23 મેના રોજ દેશની જનતા તેમને બહાર કાઢી મૂકશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ જૂઠ્ઠું બોલનારા વડાપ્રધાન છે. મને યાદ છે કે 7 ડિસેમ્બર 2017ના રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા નહોતો?’ ઐયરે મોદી પર દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપીને અને જવાનોને શહાદત દ્વારા સત્તામાં પાછા ફરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો.

ઐયરે લખ્યું, ‘મોદી દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના દોષી છે. તેઓ ગંદી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે વાયુસેનાને બદનામ કરવા માટે મૂર્ખતાપૂર્ણ વાતનો સહારો લીધો. નેવીના જહાજ પર અનધિકૃત રીતે વિદેશીઓને લઇ જવામાં આવે છે.’ તાજેતરમાં જ આઇએનએસ સુમાત્રા પર અક્ષયકુમાર પણ ગયા હતા. અક્ષયે ત્યાં પડાવેલો ફોટો વાયરલ પણ થયો હતો.

ઐયરે કહ્યું, “મેં તાજેતરમાં જ સાંભળ્યું કે વડાપ્રધાને (જે દસ દિવસ હજુ આ પદ પર રહેશે) વાયુસેનાને વાદળાં હોવા છતાં બાલાકોટ સ્ટ્રાઇકનો આદેશ આપ્યો હતો. એરફોર્સના ઓફિસરોએ આ સ્ટ્રાઇક ત્યાં સુધી ટાળવા કહ્યું હતું જ્યાં સુધી હવામાન યોગ્ય ન હોય, પરંતુ તેઓ પોતાની 56 ઇંચની છાતી વધુ પહોળી કરવા માંગતા હતા. તેમણે વિચાર્યું કે વાદળા આપણી વાયુસેના માટે એટલે ઠીક રહેશે કારણકે તેના કારણે પાક વાયુસેના કોઇ કાર્યવાહી નહીં કરી શકે. આ આપણી વાયુસેનાનું અપમાન છે. તેમને કદાચ એ ખબર નથી કે રડાર કોઈ ટેલિસ્કોપ નથી હોતું જે વાદળોની પાર ન જોઈ શકે. શું મોદી વાયુસેનાના સિનિયર ઓફિસર્સને મૂર્ખ સમજે છે કે તેમની સામે આવો અવૈજ્ઞાનિક તર્ક મૂક્યો?”