દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 11 મેના રોજ જૈશ-એ-મોહમ્મદના ફરાર આતંકી અબ્દુલ મજીદ બાબાની શ્રીનગરથી ધરપકડ કરી હતી. આ આતંકી પર બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. દિલ્હી પોલીસે જણાવ્યું કે તે જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના માગરેપોરા ગામનો રહેવાસી હતો અને તેના અંગે અમને ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ પોલીસે તેને ટ્રેક કરીને પકડી લીધો છે.
ઉલ્લેખનીય છે કે આતંકી એક મામલામાં વોન્ટેડ હતો અને દિલ્હી હાઈકોર્ટે તેના વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું. દિલ્હી પોલીસની ટીમ શ્રીનગરમાં તેને શોધી પાડવામાં સફળ રહી અને તેની ધરપકડ કરવામાં આવી. આતંકીને શ્રીનગર સીજેએમની સમક્ષ રજૂ કરવામાં આવશે જે બાદ રિમાન્ડ માટે દિલ્હી લઈ જવાશે.
જણાવી દઇએ કે વર્ષ 2007માં દીનદયાળ માર્ગ પર એક શૂટઆઉટ થયું હતું. જે બાદ ત્રણ કાશ્મીરી અને એક પાકિસ્તાની આતંકી પકડાયા હતા. જો કે નીચલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેમને જનમટીપની સજા આપી હતી. પરંતુ ત્યાં સુધી તે ફરાર થઈ ગયો હતો. ત્યારે તે ભાગેડુ જ હતો. તેની સાથે ફરાર થયેલાં બીજા સાથીઓને પણ ગત મહિને સ્પેશિયલ સેલે કાશ્મીરથી પકડી પાડ્યા હતા.