Site icon Revoi.in

વાંકાનેરમાં મંદિર નજીકથી માથુ કાપેલી યુવાનની લાશ મળીઃ માનવબલીની આશંકા

Social Share

રાજકોટઃ મોરબી નજીક આવેલા વાંકાનેરમાં એક મંદિર પાસેથી યુવાનની લાશ મળી હતી. લાશમાં માથુ અને ધડ અલગ હોવાથી તથા મૃતદેહ પાસેથી મીઠુ મળી આવતા યુવાનની બલી ચડાવવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતક યુવાન સીરામિક એકમમાં કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં સરતાનપર માર્ગ પર માતાજીના મંદિર પાસે યુવાનનો મૃતદેહ પડ્યો હતો. યુવાનની લાશમાં ઘડ અને માથુ અલગ હોવાથી લોકો પણ ચોંકી ઉઠ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લાશ નજીકથી મીઠુ મળી આવ્યું હતું. તેમજ મૃતક યુવાનનું નામ મુન્ના લલન ચૌબે (મુળ રહે, બિહાર) હોવાનું ખૂલ્યું હતું. મૃતક યુવાન સિરામીક ઉદ્યોગમાં કામ કરતો હતો.

પોલીસને યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. તેમજ યુવાનની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. યુવાનની લાશનું માથુ અલગ હોવાથી તેની બલી ચડાવવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ છે. તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જો યુવાનની બલી ચડાવવામાં આવી હોય તો મંદિરમાં ચડાવવામાં આવી હોય પરંતુ પ્રાથમિક તપાસમાં લોહીના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, આ અંગે હજુ તપાસ ચાલુ છે એટલે તપાસના અંતે જ યુવાનની હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.